નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી 2 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દિલ્હીમાં મહાસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ ભાજપના એક લાખ કાર્યકરો દિલ્હીના 13570 બૂથો પર ઘરે ઘરે જઈને સંપર્ક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી કેન્ટ વિધાનસભામાં, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગ્રેટર કૈલાશ વિધાનસભામાં અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર આદર્શનગર વિધાનસભામાં મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોજ તિવારીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી પ્રભારી શ્યામ જાજૂ કસ્તૂરબા નગર વિધાનસભામાં, પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી તિમારપુર વિધાનસભામાં, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી છતરપુર વિધાનસભામાં, કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ઉત્તમનગર વિધાનસભામાં, રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ જૈન છતરપુરમાં, રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્રસિંહ યાદવ જંગપુરા વિધાનસભામાં, રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર રાવ તિમારપુર વિધાનસભામાં અભિયાનની શરૂઆત કરશે. 


રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દુષ્યંત કુમાર ગૌતમ શાહદરા વિધાનસભામાં, કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન શાલીમાર બાગમાં, મીનાક્ષી લેખી કસ્તૂરબા નગરમાં, હંસરાજ હંસ રોહિણી વિધાનસભામાં, ગૌતમ ગંભીર ઓખલા વિધાનસભામાં, રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષ વિજયા રાહટકર કૃષ્ણા નગર વિધાનસભામાં, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીષ ઉપાધ્યાય માલવીય નગર વિધાનસભામાં, અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ મટિયાલા વિધાનસભામાં મહાસંપર્ક અભિયાન ચલાવશે. 


તિવારીએ જણાવ્યું કે ભાજપ વિકાસના મુદ્દે દિલ્હીમાં ચૂંટણી લડી રહ્યો છે. કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ અને યોજનાઓથી ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને માહિતગાર  કરશે. ભાજપે જે સંકલ્પપત્ર બહાર પાડ્યું છે તેની વિસ્તૃત જાણકારી પણ મતદારોને અપાશે. આ સાથે જ દિલ્હીમાં છેલ્લા પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીના જૂઠ, ફરેબ, જાહેરાતો, ભ્રષ્ટાચાર, ટુકડે ટુકડે ગેંગનું સમર્થન કરનારી સરકાર ચાલી રહી છે તેમની નિષ્ફળતાઓ અંગે પણ દિલ્હીના મતદારોને આ અભિયાનના માધ્યમથી જાણકારી અપાશે.